વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી ભીખાજી વૈઝિયાએ “વાવની વિકાસ યાત્રા” નામે જનતાને વિકાસના મુદ્દાઓ સાથે સંબોધન કર્યું છે. તેમણે વાવ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના વચનો આપ્યા છે.

હરિસિંહજી વૈઝિયાએ જણાવ્યું કે, જો જનતા તેમને આશીર્વાદ આપશે તો વાવમાં સારી રોડ વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ તેમજ ગામ વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ સીમાડાને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારને વધુ સુવિધા મળશે.તેમણે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક શાસન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ ગટર વ્યવસ્થાનું કાયમી નિરાકરણ લાવવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવશે.વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય, 24 કલાક હેલ્પલાઈન નંબર, ડોર ટુ ડોર કચરા નિકાલ માટે આધુનિક વ્યવસ્થા, તેમજ શહેરમાં શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી ઉપલબ્ધ થાય તેવી યોજના પણ જાહેર કરવામાં આવી છે.વધુમાં સિનિયર સિટીઝન પાર્ક, બાલ વાટિકા, ધાર્મિક સ્થળોને પર્યટન સ્થળ સમાન વિકાસ, નાના વેપારીઓ માટે પ્રાથમિક સુવિધાઓ તથા ખેડૂતોને ખાતર અને રેવન્યુ વહીવટમાં સરળતા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપવામાં આવી છે.હરિસિંહજી વૈઝિયાએ જણાવ્યું કે, આ ચૂંટણી માત્ર ઉમેદવાર પસંદ કરવાની નથી પરંતુ વાવનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી છે. તેમણે મતદારોને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે તેમને મત આપી વિજયી બનાવવાની અપીલ કરી છે.