સાટા પ્રથાને લઈ ચુવા ગામે વિવાદ: મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ, વાવ પોલીસમાં લેખિત રજૂઆત

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ ) | વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચુવા ગામે સાટા પ્રથાને લઈ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. ચુવા ગામે રહેતા ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથીએ વાવ પોલીસ મથકે લેખિત રજૂઆત કરીને ચાર વ્યક્તિઓ સામે મારપીટ, ધમકી અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રવીણભારથીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે તેમને સંતાનમાં સાત દીકરીઓ છે. તારીખ 24 મેના રોજ સાંજે અંદાજે ચાર વાગ્યે ગોસ્વામી પ્રકાશભારથી રામાભારથી અને ગોસ્વામી કાળુભારથી વિરમભારથીએ ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને “સામાજિક કામકાજ” હોવાનું જણાવ્યું હતું.

“સાટા પેટે સગપણ” માટે દબાણ કર્યાનો આક્ષેપ

પ્રવીણભારથીના જણાવ્યા મુજબ, તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ગોસ્વામી પ્રકાશભારથી, ગોસ્વામી કાળુભારથી ઉપરાંત ચારડા ગામના ગોસ્વામી દલપતભારથી શંભુભારથી અને ગોસ્વામી ઈશ્વરભારથી શંભુભારથી હાજર હતા. ત્યાં હાજર લોકોએ પ્રકાશભારથી માટે પત્ની લાવવામાં આવી હોવાનું જણાવી પ્રવીણભારથીની દીકરીનું “સામે સાટા પેટે સગપણ” કરવાનું કહેવામાં આવ્યું હતું.

પ્રવીણભારથીએ આ બાબતે ના પાડતા ચારેય વ્યક્તિઓ ઉશ્કેરાઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆત મુજબ, ત્યારબાદ તેમના ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ મારપીટ કરીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

પ્રવીણભારથીએ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને જણાવ્યું છે કે તેઓ સતત માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વીડિયોમાં તેમણે પોતે આત્મહત્યા કરવા મજબૂર થવાની સ્થિતિમાં હોવાનું પણ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.

શું છે “સાટા પ્રથા”?

ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સમાજોમાં હજુ પણ “દિકરી સાટે દિકરી”ની પ્રથા પ્રચલિત છે, જેને સામાન્ય ભાષામાં “સાટા પ્રથા” કહેવામાં આવે છે. આ પ્રથામાં જે પરિવારમાંથી દિકરી પરણીને આવે છે, તે જ પરિવારના કોઈ દિકરાને સામે દિકરી પરણાવવામાં આવે છે.

સમાજમાં દીકરીઓની સંખ્યા ઓછી હોવા અને લગ્ન સંબંધોની પરંપરાગત માન્યતાઓને કારણે આ પ્રથા હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળે છે. જોકે, ઘણી વખત આ પ્રથાના કારણે પરિવારિક વિવાદો, માનસિક તણાવ અને સામાજિક સમસ્યાઓ ઊભી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.

હાલ સમગ્ર મામલે વાવ પોલીસ દ્વારા રજૂઆતના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય સમાજમાં ચાલી રહેલી સાટા પ્રથાને લઈને ગંભીર ચર્ચા જગાવી છે.

#ચુવા #સાટાપ્રથા #વાવપોલીસ #ગુજરાતસમાચાર #Banaskantha #GujaratiNews #CrimeNews #VavTharad #BreakingNews #SocialIssue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *