ડીસા પંથકમાં અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાં શેરપુરા ગામમાં પણ ભારે વરસાદને પગલે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું હતું. લોકોના ખેતરો અને ઘર બેટમાં ફેરવાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વરસાદ બંધ થયા ના આજે દસ દિવસ બાદ પણ આ ગામમાં હજુ પણ ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયેલું યથાવત સ્થિતિમાં છે જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાયેલું હોવાના કારણે ખેડૂતોને પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે શેરપુરા પાસે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતાં 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે અહીં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને પાકો માર્ગ બનાવવામાં આવે તો અહીંના લોકોની મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. આ મામલે ડીસા ગ્રામ્ય મામલતદારે વિસ્તારની મુલાકાત લીઇ પરિસ્થિતિ નિહાળી હતી અને લોકોની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાકો માર્ગ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને પણ જાણ કરી છે.