(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી બનાવતી એક હૃદયસ્પર્શી ઘટના વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં સામે આવી છે. ધોરણ-8 પાસ કર્યા બાદ અભ્યાસ છોડીને બેઠેલી દીકરી રાવળ રીંકુબેન વિઠ્ઠલભાઈના ઘરે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને વાવના ધારાસભ્ય તેમજ મંત્રી સ્વરૂપજી ઠાકોરે રૂબરૂ મુલાકાત લઈને તેને ફરી શિક્ષણ સાથે જોડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

મંત્રીશ્રીઓએ પોતાના હસ્તે રીંકુબેનને પાઠ્યપુસ્તકો અર્પણ કરી સુઈગામની મહર્ષિ કણાદ વિદ્યાલય ખાતે ધોરણ-9માં ઉત્સાહભેર પુનઃ પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે દીકરી અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં કોઈપણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તેવા સરકારના સંકલ્પને સાકાર કરવા માટે મંત્રીશ્રીઓએ પરિવાર સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી દીકરીઓના ભવિષ્ય નિર્માણમાં શિક્ષણની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે પરિવારને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યો હતો. જેમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી સાધના યોજના અને સરસ્વતી સાઇકલ સાધના યોજના જેવી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળી શકે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, મહર્ષિ કણાદ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકગણ તેમજ જિલ્લા તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી રીવાબા જાડેજા અને મંત્રી સ્વરૂપજી ઠાકોરની આ સંવેદનશીલ અને પ્રેરક પહેલથી માત્ર એક દીકરી જ નહીં પરંતુ સમગ્ર સરહદી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચ્યો છે. દીકરીએ ફરીથી અભ્યાસ શરૂ કરતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને આ પહેલની વ્યાપક સરાહના થઈ રહી છે.