ગત 26 ડીસેમ્બરના ગોઝારા દિવસે જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનો જીવનદીપ બુજાયો હતો. 26 ડીસેમ્બરને જીવદયા દિવસ તરીકે મનાવવા આવે તેવી જીવદયા પ્રેમીઓની લાગણી છે. સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીએ શ્રદ્ધા સુમન અર્પણ કરાશે. જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી સહિત ત્રણ જીવદયા પ્રેમીઓના રાજસ્થાનના જાલોર નજીક માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થયા હતા. ગત 26 ડીસેમ્બર 2020ના ગોઝારા દિવસે ડીસા સહિત જિલ્લાના જાણીતા જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી, વિમલભાઈ તેમજ રાકેશભાઇનું રાજસ્થાનના જાલોર નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતાં બનાસ વાસીઓએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો.

જાંબાઝ અને બાહોશ જીવદયા પ્રેમી અને અબોલ જીવોના મસીહા ભરતભાઈ કોઠારીના અકાળે નિધનથી જૈન સમાજમાં જ નહીં પરંતુ તમામ સમાજને તેમની ખોટ પડી છે. બનાસકાંઠા સહિત ગુજરાત અને છેક રાજસ્થાનના કતલખાને ધકેલાતા અબોલ જીવોને જીવના જોખમે બચાવનાર ભરતભાઈ કોઠારી જીવદયા પ્રેમી તરીકેની ઉમદા ઓળખ ધરાવતા હતા.જેઓ મોતના મુખમાં ધકેલાતા અસંખ્ય જીવોને બચાવી સાચા અર્થમાં અબોલ જીવોના તારણહાર પુરવાર થયા હતા. રાજપુર અને કાંટ પાંજરાપોળમાં હજારો નહિ પણ લાખો જીવોને કાયદાના સહારે બચાવી જીવદયા ક્ષેત્રે ખડેપગે રહી અબોલ જીવોના જતન માટે સતત ઝઝૂમતા રહ્યા હતા. તેમના નિધનથી ડીસા સહિતની પાંજરાપોળ અને ગૌશાળાઓના સંચાલકો અને જીવદયા પ્રેમીઓએ મજબૂત અને વિશ્વસનીય સાથી ગુમાવ્યો હોવાની લાગણી દર્શાવી હતી.આજે જીવદયા પ્રેમી સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારી, વિમલભાઈ તેમજ રાકેશભાઇની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી છે ત્યારે ડીસાના રાજપુર અને કાંટ પાંજરાપોળમાં તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. તો બીજી તરફ સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીના સ્મરણાજંલી રૂપે 26 ડીસેમ્બરને જીવદયા દિવસ તરીકે મનાવવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની સરકાર સમક્ષ લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી હતી..