બનાસકાંઠા વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો બનાસકાંઠા જિલ્લા કલેકટરની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.7.50 લાખના ખર્ચથી જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું અવાવરૂ કુવાઓ રિચાર્જ કરવા તથા વરસાદી પાણીનાં એક- એક ટીંપાનો સંગ્રહ કરી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવાનું ગ્રામજનોએ અભિયાન આદર્યુ ખેતી અને પશુપાલન પર આધારીત બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ દિવસે દિવસે ઉંડા જઇ રહ્યા છે. ભૂગર્ભ જળ ભંડારોને સમૃધ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન ચલાવીને તળાવો ઉંડા કરવા, નદીઓના વહેણ સાફ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વડગામ તાલુકાના ટીંબાચુડીના ગ્રામજનોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા માટે એક પ્રેરણાદાયી અભિયાન આદર્યુ છે. ચોમાસામાં વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતરે અને ભુગર્ભ જળ ભંડારો ભરાય તે માટે ટીંબાચુડીના ગ્રામજનોએ અવાવરૂ કુવાઓ રિચાર્જ કરવાનું શરૂ કર્યુ છે. પાણીના તળ ઉપર લાવવા ટીંબાચુડીના ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો કરીને અત્યાર સુધીમાં 30 જેટલાં કુવાઓ રિચાર્જ કર્યા છે.