બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકાના બેણપ ગામની જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ મુલાકાત લઇ પંચાયત વિભાગ દ્વારા ફાળવાયેલ વિચરતી જાતિના ૧૩ લાભાર્થીઓને મફત પ્લોટની સનદો આપી કબજો સુપ્રત કરવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સનદો અને કબજા પાવતી એનાયત કરવામાં આવી હતી. આ લાભાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ફોર્મ ભરાવીને તેમને મકાન સહાય પણ પુરી પાડવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ. એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના લાભાર્થીઓને સ્થાયી કરવાના આશયથી ફાળવવામાં આવેલા પ્લોટથી વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળશે. મફત પ્લોટ મળતા તેમના કુંટુંબમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે સૂઇગામ તાલુકા વિકાસ અધિકારી, બેણપ ગામના સરપંચ અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા.