બનાસકાંઠા જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા તા.૨૩.૦૫.૨૦૨૨થી સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવા માટે એક ખાસ ઝુંબેશની શરૂઆત થઈ રહી છે. જેમાં બનાસકાંઠા વિભાગના ૪૦૭ ડાકઘરના કર્મચારીઓ દ્વારા જે બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવાના બાકી રહી ગયા હોય એવી બાળકીઓના ખાતા ખોલવા પર ભાર મુકવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૧૦ વર્ષ સુધીની બાળકીનું ૨૫૦ રૂપિયાથી ખાતું ખોલી શકાશે. વધુમાં વધુ ૧,૫૦,૦૦૦ સુધીની રકમ જમા કરાવી શકાશે. ખાતું ખોલ્યાની તારીખથી ૧૫ વર્ષ સુધી રકમ જમા કરી શકાય તથા હાલમાં ૭.૬૦ % લેખે વાર્ષિક વ્યાજ મળવાપાત્ર છે.
અખારામ, અધિક્ષક ડાકઘર બનાસકાંઠાએ સૂચવ્યું છે કે, બનાસકાંઠા ટપાલ વિભાગ દ્વારા અત્યાર સુધી ૫૦,૦૦૦ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવામાં આવ્યા છે અને સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં બીજા ૩૦,૦૦૦ નવા ખાતા ખોલવાનો અને ૫૦૦ ગામમાં ૧૦૦% બાળકીઓના ખાતા ખોલી ૫૦૦ ગામને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમ અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા-પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.