પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યશ્રીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.બેઠકમાં કલેકટરશ્રીએ પીવાના પાણી અંગે પ્રશ્નો સાંભળ્યા બાદ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, ઉનાળાની સીઝનમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પુરતી તકેદારી રાખીએ તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવીએ. પાણીના બોર માટે વીજ કનેક્શન આપવા, દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓમાં હેન્ડ પંપ ચાલુ કરી જરૂરીયાતવાળા ગામોને પાણીની સુવિધા પુરી પાડીએ.

આ ઉપરાંત શાળાઓના ઓરડાઓ નવા બનાવી ઓરડાઓની ઘટ પુરી કરવી, એસ.ટી. બસના બંધ રૂટો શરૂ કરવા, રસ્તાઓ બનાવવા સહિતના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી, ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ ખરાડી, શ્રી ગુલાબસિંહ રાજપૂત, શ્રી નથાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.