ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હાલ ઉનાળામાં 118.15 મીટરે પહોંચતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. જેમાં ઉપરવાસના ડેમો માંથી પાણી ની આવક થઈ રહી છે અને આગામી દિવસોમાં પણ નર્મદા ડેમમાં પાણીની આવક થવાના સમાચાર મળી રહ્યા છે.. ઉનાળામાં 10 હજાર મિલિયન ક્યુબિક મીટર પાણી નર્મદા ડેમ માટે ઉપરવાસમાંથી છોડવાનું હોય છે તે હાલ કટકે કટકે છોડાઈ રહ્યું છે. વર્ષ 2022 ના ઉનાળાની શરૂઆત જ થઇ છે. તેવામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહ ઘટી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં 16.48 ટકા પાણીનો સંગ્રહ છે.મધ્ય ગુજરાતમાં 50.69 ટકા જળ સંગ્રહ છે..દક્ષિણ ગુજરાતમાં સહુથી વધુ 69.89 ટકા જળ સંગ્રહ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 47.79 ટકા અને કચ્છમાં 23.65 ટકા જળ સંગ્રહ છે. ત્યારે ગુજરાત માટે ખુબજ સારી બાબત એ છે કે સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી નર્મદા બંધના ઇતિહાસમાં એપ્રિલ માં સહુથી વધુ એટલે કે 118.15 મીટર છે અને જળ સંગ્રહ 953.76 મિલિયન ક્યુબિક મીટર છે.
જો આગામી દિવસોમાં ચોમાસુ લંબાય તો પણ નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે પીવા અને વાપરવાના પાણી માટે સક્ષમ છે. આગામી ઉનાળામાં ગુજરાતમાં પીવા અને વાપરવા કે સિંચાઈ માટે કોઈ તકલીફ નહીં પડે એમ કહેવાય.જોકે ઉપરવાસમાં આવેલા ઇંદિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ હોવાને કારણે હજી પણ નર્મદા બંધમાં પાણીની આવક સતત થઇ રહી છે જે પણ નર્મદા બંધ માટે એક સારા સમાચાર છે.