પાલનપુર સ્થિત બનાસડેરી પર કબજો જમાવવા ભાજપના જ ત્રણ દિગ્ગજો મેદાનમાં હતા.વર્તમાન ચેરમેન શંકર ચૌધરીને હરાવવા સાંસદ પરબત પટેલ તેમજ વાઈસ ચેરમેન માવજી દેસાઈ ઝંપલાવ્યું હતુ ત્યાં મંગળવારે એકાએક 16 પૈકી 9 બેઠકો શંકર ચૌધરીના સમર્થનમાં બિન હરીફ થતા શંકરભાઈનો દબદબો યથાવત જોવા મળ્યો છે.હવે બાકીની 7 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં છે. હવે ફોર્મ પરત ખેંચાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ બનશે.આંતરિક જૂથબંધી બહાર ન આવે તે માટે પ્રદેશકક્ષાની સુચના બાદ બે દિવસમાં ચિત્ર બદલાઈ ગયું હતુ.નોંધનીય છે કે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી રોકવામાં આવતાં માવજીભાઈ દેસાઈએ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે ખુલ્લા આક્ષેપો કર્યા હતા.
બીજી તરફ બનાસકાંઠા સાંસદ અને બનાસડેરીના ડિરેકટર પરબતભાઈ પટેલ પણ અંદરખાને શંકરભાઈ શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ સોંગઠા ગોઠવવાનું શરૂ કર્યું છે.તેવામાં 9 બેઠકો બિનહરિફ થતાં સૌ ચોકી ઊઠ્યા હતા. બનાસડેરીના ચૂંટણી જંગમાં મંગળવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. 16 ડિરેક્ટર માટે કુલ 37 ફોર્મ રજૂ થયા હતા. ડીસા માર્કેટયાર્ડ ખાતે સાંસદ પરબતભાઇ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, પૂર્વ પ્રમુખ રાણાભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઇએ ડીસા મામલતદાર કચેરી ખાતે મામલતદાર એ.જે.પારઘી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
જિલ્લામાં દાંતા બેઠક, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, વાવ, રાધનપુર, સુઇગામ અને સાંતલપુર લાખણીની બેઠક ઉપર એક એક ઉમેદવારે ફોર્મ રજૂ કરતાં આ બેઠકો બિન હરીફ થઈ છે. જેથી શંકરભાઇ માટે ચેરમેન પદનો રસ્તો ફરી એકવાર ખુલી ગયો છે. હવે બાકીની 7 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાનમાં છે. જે ચિત્ર પણ ફોર્મ પરત ખેંચાયા બાદ સ્પષ્ટ બનશે. હવે પાલનપુરમાં 8, વડગામમાં 3, દાંતામાં 1, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 1, ડીસામાં 6, ધાનેરામાં 1, થરાદમાં 2, વાવમાં 1, ભાભરમાં 3, દિયોદરમાં 3, કાંકરેજમાં 2, રાધનપુરમાં 1, સાંતલપુરમાં 2,સુઇગામમાં 1 જ્યારે લાખણીમાં 1 ઉમેદવાર એ ઉમેદવારી પત્રો ભર્યા છે.
બનાસડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ જે રીતે વિરોધમાં હતા તેના ઉપરથી બનાસ ડેરી નું આ વખતનું ચૂંટણીનું ચિત્ર રસાકસીભર્યો રહેશે તેવું શરૂઆતના દિવસોમાં દેખાતું હતું અને સાંસદ પરબતભાઇ પટેલ સહિત ભાજપના નેતાઓ પણ શંકરભાઈ ચૌધરી સામે દેખાયા હતા. જોકે સમગ્ર ચિત્ર બે દિવસમાં બદલાઇ ગયું હતું અને મોટાભાગની બેઠકો ઉપર શંકરભાઈ તરફી ઉમેદવારોએજ ફોર્મ ભર્યા હતા. અને સામા પક્ષએ માવજી ભાઈની કોઈ પેનલ બનીજ નહી. આમ આરંભે શૂરા જેવી સ્થિતિ માવજીભાઈ માટે બનીને રહી ગઇ છે. જોકે નવ બેઠકો બિનહરિફ થયા બાદ શંકરભાઈ નું કદ વધુ એકવાર સહકારી ક્ષેત્રે વધી ગયું છે. આંતરિક જૂથબંધી બહાર ન આવે તે હેતુથી શાંતિપૂર્ણ ચૂંટણી પાર પાડવાની રાજ્ય કક્ષાએથી સૂચના હોય એમ વર્તમાન સ્થિતિ પરથી જણાઈ રહ્યું છે.
પાલનપુર, વડગામ, ડીસામાં ચૂંટણી થવાની શક્યતા
બનાસડેરીની ચૂંટણી નું ચિત્ર ઉમેદવારી પત્રો ભરાયા બાદ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગની બેઠકો બિન હરીફ થાય તેવી શક્યતા છે જ્યારે પાલનપુર વડગામ અને ડીસા બેઠક બનાસડેરીની ચૂંટણી રસપ્રદ બને તેવી શકયતા છે.
આ બેઠકો બિનહરીફ થઈ
રાધનપુર – શંકરભાઈ ચૌધરી
સાંતલપુર – રાઘાભાઈ આયર
સુઈગામ – મુળજીભાઈ પટેલ
ધાનેરા – જોઈતાભાઈ પટેલ
દાંતીવાડા – પરથીભાઈ જે. ચૌધરી
અમીરગઢ – ભાવાજી રબારી
વાવ – રાયમલભાઈ કે. ચૌધરી
દાંતા – દિલીપસિંહ બારડ અને
લાખણી – ધુડાભાઇ ઉ. ચૌધરી
બિનહરીફ સભ્યોએ માઁ અંબાના દર્શન કર્યા
9 બિન હરીફ સભ્યો સાથે શંકર ચૌધરીએ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકરભાઈ ચૌધરી 9 બેઠકો પર હરીફ ઉમેદવારોને ઉભા ન રાખવામાં સફળ સાબિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે “જિલ્લામાં દૂધ ઉત્પાદકોએ ભરોસો મુક્યો અને જેના લીધે આ શક્ય બન્યું છે.