
વર્ષ 2017માં ચમત્કારી સુલેમાની પથ્થર ખરીદવા માટે રૂ. 11 લાખની નકલી નોટો સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ગુનામાં એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જેને ગુજરાત ATSની ટીમે સાબરકાંઠાના ઘડી ગામેથી ઝડપી લીધો છે. ગુજરાત ATSને માહિતી મળી હતી કે, વર્ષ 2017માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2000ના દરની રૂ.11 લાખની નકલી નોટોના ગુનામાં સાત આરોપીઓની ધરપકડ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં મૂળ સાબરકાંઠાના ઘડી ગામનો રહેવાસી કમલેશ પરમાર તેના ગામે આવવાનો છે. જેથી એટીએસની ટીમે તેના ઘરે વોચ ગોઠવી હતી અને કમલેશ આવતાની સાથે જ તેને ઝડપી લીધો હતો. આરોપી કમલેશને ક્રાઈમ બ્રાન્ચને સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.