પરિવારજનોની માંગ – આરોપીને તાત્કાલિક ઝડપી સગીરાને સુરક્ષિત પરત લાવો
વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકોના કોટડા (ફો) ગામે 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી લઈ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનાને દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સગીરાની હજુ સુધી કોઈ ભાળ ન મળતાં પરિવારજનો ચિંતિત બન્યા છે.

મળતી માહિતી અનુસાર, કોટડા (ફો) ગામે રહેતી સગીરાને ગામના જ અલ્પેશજી રમેશજી ઠાકોર નામના ઇસમે લગ્ન કરવાની લાલચ આપી ઘરે થી ફોસલાવી લઈ જવાનો આરોપ છે. ઘટનાને પગલે સગીરાના પિતાએ તારીખ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ દિયોદર પોલીસ મથક(diyodar police station) ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 137(2) તથા 87 હેઠળ અપહરણનો ગુનો દાખલ કર્યો છે. છતાં પણ દસ દિવસ વીતી જવા છતાં સગીરાની કોઈ માહિતી સામે આવી નથી.
પરિવારજનોએ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. “અમારી દીકરીને સુરક્ષિત પરત લાવવામાં આવે અને આરોપીને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે,” તેવી લાગણીસભર અપીલ પરિવારજનોએ કરી છે.
ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ પોલીસ તંત્ર પાસે ઝડપી પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. હવે સગીરાની સુરક્ષિત વાપસી અને આરોપીની ધરપકડ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.