વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના એક ગામમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલે માવસરી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધરણીધર તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીરાને આરોપીએ નિશાન બનાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે માવસરી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસે ધરણીધર તાલુકાના એક ગામના જગદીશ રામભાઈ પટેલ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા કેસના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ પણ તેજ બની છે. ચર્ચાતી વાતો અનુસાર વધુ બે નામો સામે આવવાની અફવાઓ ફેલાઈ રહી છે, જોકે આ બાબતે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે સગીરાના નિવેદન અને નોંધાયેલી પોલીસ ફરિયાદમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળતી હોવાની ચર્ચા થઈ રહી છે, જેના કારણે તપાસની દિશા અને પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ બાબતોની નિષ્પક્ષ અને કાયદેસર તપાસ કરી સાચી હકીકત બહાર લાવવામાં આવશે.