બનાસકાંઠા જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણને લઈને દાંતા પૂર્વ રેન્જ વન વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મેળવેલી માહિતી પ્રમાણે, જીતપુર રાઉન્ડની વેકરી બીટ વિસ્તારમાં આવેલા સેકડા જંગલ સર્વે નંબર ૧૧૪/પૈકી ૨ (નવો સર્વે નંબર ૨૧૨) ખાતે ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ વન વિભાગની ટીમ નિયમિત જંગલ ફેરણા પર હતી. આ દરમ્યાન ત્રણ શકમંદ ઈસમોની હલચાલ જોતા તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના કટ્ટાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કટ્ટામાંથી શિયાળ નંગ-૧નું મૃતદેહ મળી આવતાં ટીમને શિકારની શંકા પક્કી થઈ હતી.

વનપાલ જીતપુર શ્રી પી. કે. વાવેચાએ ઘટનાની તાત્કાલિક જાણ પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વી.એલ. ચૌધરીને કરી હતી. ત્યારબાદ મદદનીશ વન સંરક્ષકશ્રી અંબાજીના માર્ગદર્શન હેઠળ ટીમે એક આરોપીને રંગેહાથ પકડી દાંતા પૂર્વ રેંજ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપી પરદેશભાઈ બાબુનાથ ભાટી (મદારી), રહે: મદારી વસાહત, વડાલી, જી. સાબરકાંઠા વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૨, ૯, ૨૭, ૩૯, ૪૩, ૪૪, ૫૦ અને ૫૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને દાંતા કોર્ટમાં રજુ કરવામાં આવી અને એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા ચાર દિવસનો રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં મદદનીશ વન સંરક્ષક શ્રી જીગરભાઈ જે. મોદી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિજયભાઈ એલ. ચૌધરી, વનપાલ શ્રી પુનાભાઈ કે. વાવેચા, શ્રી હર્ષદસિંહ સી. હડિયોલ, શ્રી ડી.આઇ.એમ. પ્રજાપતિ, વનરક્ષક શ્રી સંજયસિંહ બી. બારડ તેમજ કાયમી રોજમદાર શ્રી કુમારસિંહ શંકરસિંહ ચૌહાણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વન વિભાગના જણાવ્યા મુજબ, આ કેસને ગંભીરતાથી લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. વન્યપ્રાણીઓના શિકાર સામે વિભાગ શૂન્ય સહનશીલતા રાખશે અને આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે તેવું પરિક્ષેત્ર વન અધિકારીશ્રી દાંતા પૂર્વ રેન્જ તરફથી જારી કરાયેલા અખબારી યાદીમાં જણાવાયું છે.