આર્મી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવા યુવાનો માટે ઉત્તમ તક: રાજકોટ ખાતે “આર્મી ભરતી રેલી”નું આયોજન

આર્મી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર રાજકોટ ખાતે આગામી તા. ૨૦ ઓક્ટોબર થી તા. ૧૨ નવેમ્બર દરમ્યાન લશ્કરી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભરતી મેળામાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ, બોટાદ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સમાવિષ્ટ થશે. ઉપરોક્ત જિલ્લાના શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો ધરાવતાં યુવાનો માટે અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર તેમજ અગ્નિવીર ટ્રેડમેન સહીતની જગ્યાઓ માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ www.joinindianarmy.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ભરતી માટે નિયત કરવામાં આવેલી વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૦૩/૦૯/૨૦૨૨ સુધી થઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *