દરિયો તોફાની બનતા સાગર ખેડૂતો આર્થિક મુશ્કેલીના સાગરમાં ડૂબ્યા !

માછીમારીની સિઝન શરૂ થયાને હજું ૧૦ થી ૧પ દિવસ જેવો સમય થયો છે ત્યાં જ દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે. જેથી ફરી બોટને બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે. જેના કારણે બોટ માલીકોને મોટુ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આવી સ્થિતીમાં માછીમારોને સરકાર યોગ્ય વળતર આપે તેવી માંગણી ખારવા સમાજના પૂર્વ વાણોટ અને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ સુનીલભાઇ ગોહેલે કરી છે. તેમણે રાજ્ય અને કેન્દ્રના મત્સ્યોદ્યોગમંત્રીને લખેલા એક પત્રમાં એવું જણાવ્યું છે કે હાલ વરસાદ અને વાવાઝોડાના કારણે માછીમારોને મોટુ નુકશાન થયું છે. સમુદ્રમાં તોફાન હોવાના કારણે માછીમારી કરવા ગયેલી બોટોને અધવચ્ચેથી બોલાવી પડી છે. જેના કારણે લાખો રૂપિયાના ડિઝલ નો વપરાશ અને અન્ય નાના-મોટા નુકશાનો થાય છે. જેથી માછીમારોને મોટો આર્થિક મરણતોલ ફટકો પડ્યો છે. મત્સ્ય વિભાગ જો કૃષિ વિભાગ ગણવામાં આવે છે તો ખેડૂત ભાઇઓની સાથે દરિયાઇ ખેડૂઓને વળતર આપવું જોઇએ અને આ અંગેની ખાસ જોગવાઇ કરવી જોઇએ. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી અને તે પહેલા પણ છેલ્લા વર્ષોથી માછીમારોની હાલત દયનિય બની છે. હજુ તો આ વર્ષે સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે દરિયો તોફાની બનતા સિઝન ફરી બંધ થઇ છે. આ માટે તાત્કાલીક સહાય પેકેજ જાહેર કરવું જોઇએ. હાલની સ્થિતીને લઇને સરકાર દ્વારા સર્વે કરી અને નુકશાનીનું વળતર આપવું જોઇએ. માછીમારો પ્રતિવર્ષ કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપે છે અને અનેક લોકોને રોજગારી પણ આપે છે. આવી સ્થિતીમાં કુદરતી આફતોએ માછીમારોને મોટો આર્થિક ફટકો માર્યો છે. બોટ માલીકો બેંક તેમજ પ્રાઇવેટમાંથી ફંડ લઇ અને પોતાની આજીવીકા રળે છે. આવી પરિસ્થિતીમાં માછીમાર સમાજ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે તાત્કાલીક અસરથી સરકાર આર્થિક રાહત પેકેજ આપે તેવું પત્રના અંતમાં સુનીલભાઇ ગોહેલે જણાવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *