તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે સોમવારે ‘મફત’ યોજનાઓને લઈને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાવે આરોપ લગાવ્યો કે સરકાર કલ્યાણકારી યોજનાઓને મફત કહીને તેનું અપમાન કરી રહી છે. શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડા રાવે NDA સરકાર પર સંઘીય મૂલ્યોને નુકસાન પહોંચાડવાનો અને રાજ્યોને આર્થિક રીતે નબળા કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે. એનડીએ સરકાર સત્તાનું કેન્દ્રીકરણ કરી રહી છે. KCRએ કેન્દ્ર પર દૂધ અને કબ્રસ્તાનોના નિર્માણ સહિત વિવિધ ઉત્પાદનો પર ટેક્સ લગાવીને ગરીબ અને મધ્યમ વર્ગ પર ભારે બોજ નાખવાનો આરોપ લગાવ્યો હતો.
લોકોનું કલ્યાણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે
મફત ઓફરના વિવાદ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોનું કલ્યાણ એ સરકારોની પ્રાથમિક જવાબદારી છે. તેમણે તે જવાબદારી યોગ્ય રીતે ન નિભાવવા માટે કેન્દ્રને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે, કેન્દ્ર મફત કહીને કલ્યાણકારી યોજનાઓનું અપમાન કરી રહ્યું છે.ઐતિહાસિક ગોલકોંડા કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં રાવે જણાવ્યું હતું કે, દેશના બંધારણના ઘડવૈયાઓએ એક સંઘીય માળખું બનાવ્યું હતું કારણ કે તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને પ્રગતિની યાત્રાનું નેતૃત્વ કરે.