બંગાળની ખાડીથી ઉદ્ભવેલું નિવાર વાવાઝોડું પુડ્ડુચેરીથી 120 કિલોમીટર દૂર છે અને હાલ તેની સ્પીડ 11 કિમી/કલાકની છે. આજે રાત્રે 2 વાગ્યે નિવાર વાવાઝોડું દક્ષિણી કાંઠા પર અથડાય શકે છે. જે બાદ વાવાઝોડું કરાઇકલ (આંધ્રપ્રદેશ) અને મહાબલીપુરમ (તમિલનાડુ)ને પાર કરશે. અહીંથી પસાર થતા સમયે 145 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફુંકાય શકે છે.
નિવારને કારણે ચેન્નઈ એરપોર્ટ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. આ પહેલાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરૂવરુર, ચેંગાલપટ્ટૂ અને પેરમ્બલોર જેવા શહેર સામેલ છે. તમિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.
8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત
વાવાઝોડાંને કારણે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં તમિલનાડુ અને પુડ્ડુચેરી કાંઠાના લગભગ કોસ્ટ ગાર્ડની 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરવામાં આવ્યા છે. તેની મદદથી મર્ચન્ટ શિપ અને માછલી પકડવાની શિપને વાવાઝોડાંની ચેતવણી આપવામાં આવી છે.