સરકારે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં આગામી 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ખેડૂતોમાં ખૂશીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં સરહદીય વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું . જેને લઈને વાવ, થરાદ, સુઇગામ, ભાભરના ખેડૂતોમાં ચિંતિત બન્યા હતાં. બીજી તરફ વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે સરકારમાં રજૂઆત કરાઇ હતી જેમાં કેનાલમાં સિંચાઇનું પાણી ચાલુ રાખવા માંગ કરાઇ હતી. તેમજ તાજેતરમાં ભાભર ખાતે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેનાલોમાં પાણી ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ હતી જેને પગલે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આગામી 31 માર્ચ એટલે કે, 15 દિવસ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં ધરતી પુત્રોમાં આનંદ વ્યાપી ગયો હતો.