- અકાલીદળનાં હરસિમરત કૌરે ખેડૂત બિલોના વિરોધમાં ગયા મહિને કેબિનેટ મંત્રીપદ છોડ્યું હતું
- શિવસેનાના અરવિંદ સાવંતે ગયા વર્ષે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતુ
રામવિલાસ પાસવાનના નિધન બાદ મોદીસરકારમાં ભાજપ ઉપરાંત NDA ગઠબંધનમાં ફ્ક્ત રામદાસ આઠવલે (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા) બચ્યા છે. જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં ભાજપમાં બહારનું કોઈ નથી, કેમ કે આઠવલે પણ રાજ્યમંત્રી છે. તેમની પાસે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીની જવાબદારી છે.
મોદીસરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટમાં શરૂઆતમાં NDA ગઠબંધનમાં શિવસેનાના અરવિંદ સાવંત, શિરોમણિ અકાલીદળનાં હરસિમરત કૌર બાદલ અને લોકજનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન હતાં.
JDUનો કેન્દ્ર સરકારમાં સમાવેશ નહીં, પરંતુ ટેકો ચાલુ છે
શિવસેના મહારાષ્ટ્રમાં સરકારની ફોર્મ્યુલાને લઈને ગયા વર્ષે જ એનડીએથી અલગ થઈ હતી. અકાલીદળે ગયા મહિને ખેડૂત બિલોના વિરોધમાં સરકાર છોડી દીધી હતી. આ પહેલાં અકાલીદળનાં નેતા હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાં ફૂડ પ્રોસેસિંગમંત્રીપદ છોડ્યું હતું. નીતીશ કુમારની પાર્ટી જેડીયુમાંથી કોઈ સભ્ય મોદી કેબિનેટમાં નથી, પરંતુ NDAનો ભાગ હોવાને કારણે સરકારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે.
મોદી કેબિનેટમાં 24 મંત્રીએ શપથગ્રહણ કર્યા હતા, હવે 21 રહ્યા
ગયા વર્ષે 30 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 57 મંત્રીએ શપથગ્રહણ કર્યા હતા, જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રી સામેલ હતા. અરવિંદ સાવંત, હરસિમરત કૌર બાદલનાં રાજીનામાં અને રામવિલાસ પાસવાનના નિધન બાદ હવે 21 કેબિનેટ મંત્રી રહ્યા છે. રેલવે રાજ્યમંત્રી સુરેશ આંગડીના નિધન પછી રાજ્યના પ્રધાનોની સંખ્યા 24થી ઘટીને 23 થઈ ગઈ છે.