નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અવાર-નવાર વી.આઈ.પી.ના પ્રવાસ કાર્યક્રમો યોજાતા હોય છે તથા આગામી તા.૦૧ જૂન ૨૦૨૨ ના રોજ રાજપીપલા ખાતે રથયાત્રા તહેવારની ઉજવણી થનાર છે તેમજ આગામી તા.૧૦ જુલાઈ ૨૦૨૨ ના રોજ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં બકરીઈદ તહેવારની ઉજવણી થનાર છે. જેથી હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તા.૦૨ જી જૂન,૨૦૨૨ ના ૦૦=૦૦ કલાકથી તા.૩૧ મી જૂલાઇ,૨૦૨૨ ના રોજ ૨૪=૦૦ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધીનો હુકમ ફરમાવી સૂરૂચિ-નીતિનો ભંગ થાય તેવા કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદ્અનુસાર, ઉક્ત સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી. પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહિ, એકઠા કરવા નહિ અથવા તૈયાર કરવા નહિં. મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહિ, અશ્લિલ ગીતો ગાવા નહિ અથવા ટોળામાં ફરવું નહિ. જેનાથી સુરૂચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કરવા નહિ અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવી નહિ, બતાવવી નહિ, તેનો ફેલાવો કરવો નહિ. જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ રહેશે.