વડગામ ભાજપ માં મણિલાલ વાઘેલા એન્ટ્રી

વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ તમામ પક્ષો સોગઠા ગોઠવવામાં લાગી ચૂક્યા છે. મુશ્કેલ લાગતી બેઠકો પણ જીત મેળવવા ભાજપે અત્યારથી જ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. ત્યારે આજે વડગામના મગરવાડામાં આયોજીત ભાજપના વિશ્વાસ સંમેલનમાં વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મણિલાલ વાઘેલાને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં મણિલાલ વાઘેલાને વડગામ બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી હતી જેમાં મણિલાલ વાઘેલાની ભાજપના ફકીરભાઈ વાઘેલા સામે જીત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2021માં મણિલાલે કૉંગ્રેસને રામ રામ કરી દીધા હતા. નોંધનીય છે કે, વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જેથી 2022માં વડગામ બેઠક પર કૉંગ્રેસ તેને ઉમેદવાર બનાવે તેવી પૂરી શક્યતા છે. ભાજપ પણ સંભવત જિગ્નેશ મેવાણી સામે અહીં મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. જો કે, મણિલાલ વાઘેલાએ હાલ કાર્યકર તરીકે જ ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *