પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ F-16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે વીર ચક્ર એનાયત કરવામાં આવશે. હાલ તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવ બાદ અભિનંદન વર્ધમાને હવાઈ સંઘર્ષમાં F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ વર્ષે 3 નવેમ્બરે તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેમને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી 2019 ના રોજ હવાઈ સંઘર્ષમાં, મિગ-21 વિમાનમાં સવાર થયા પછી પણ અભિનંદન વર્ધમાને F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું.

આ પછી પાકિસ્તાની એરફોર્સ દ્વારા તેના પ્લેન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ PoKમાં પડ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બીજા જ દિવસે પાકિસ્તાને તેમને છોડી દીધા હતા. ભારતના રાજકીય દબાણ બાદ પાકિસ્તાને તેમને વાઘા બોર્ડર પર સુરક્ષિત મુક્ત કર્યા હતા. મિગ-21 વિમાન ઘણું જૂનું છે અને તેમાં સવાર થયા પછી પણ અત્યઆધુનિક ફાઈટર જેટ એફ-16ને નીચે ઉતારવા બદલ અભિનંદન વર્ધમાનની પ્રશંસા થઈ હતી અને તેઓ રાષ્ટ્રીય નાયક તરીકે ઊભરી આવ્યા હતા.