તાજેતરમાં જ બોટાદ ખાતે થયેલા દારૂના લઠ્ઠા કાંડ માં અનેક લોકો મોતને ભેટ્યા છે. દેશી દારૂમાંથી બનેલી આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ ખાતે સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં દેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદે વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મુદ્દે વીફરેલી મહિલાઓએ થરાદ ડીવાયએસપી કચેરીએ ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો.જેમાં પોલીસ કચેરીએ પહોંચેલી મહિલાઓ પોતાની સાથે બંગડી અને ચાંદલાઓ પણ લઈને આવી હતી અને થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં દેશી દારૂ બંધ કરાવવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતાં. જે બાદ મહિલાઓએ થરાદ DYSP પૂજા યાદવને આવેદનપત્ર આપી થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દેશી દારૂ વેચતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી હતી.