ગઈકાલે મદ્યરાતે પાંચ-પાંચ કોરોનાના દર્દીઓ આગમાં જીવતા બળીને ભડથું થયા હતા. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ થંભવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દર્દીઓ આગમાં જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. ત્યારે આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. અત્યારસુધીમાં અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગમાં 13 દર્દી ભડથું થયા છે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.
હોસ્પિટલોમાં આગની ઘટનાઓ અટકતી જ નથી
અવારનવાર કોવિડ સહિતની હોસ્પિટલોમાં આગના બનાવ બનતા રહે છે. ઘટના બને ત્યારે સરકાર તપાસપંચ રચીને છટકતી રહે છે. ઉદય શિવાનંદ હોસ્પિટલના આગના બનાવમાં પણ સરકારે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને તપાસ સોંપી છે. હાઈકોર્ટ પણ સરકાર સામે કડક વલણ અખત્યાર કરે છે છતાં કોવિડ હોસ્પિટલમાં સરકારે એવી કોઈ ખાસ કાર્યવાહી નથી કરી કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવ્યું છે. આગની ઘટનાઓ રોકી શકાય. હોસ્પિટલમાં નાનકડો સ્પાર્ક થાય તોપણ આગ લાગે છે. ત્યારે રાજ્યમાં આગના બનાવો રોકાતા જ નથી અને બધું જ અધ્ધરતાલ ચાલી રહ્યું છે.