કોરોના મહામારીને કારણે રાજ્યમાં 8 મહિનાથી બંદ સ્કૂલો ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે. ધોરણ 9થી 12 કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે, જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.
સરકારના નિર્ણયનો વાલી મંડળ દ્વારા વિરોધ, બે મહિના રાહ જોવા વિનંતિ
ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરે ધોરણ 9થી12 અને મેડિકલ તથા પેરા મેડિકલ સહિતની સ્કૂલો ખોલવાની જાહેરાત આજે કરી છે તેનો ઓલ ગુજરાત વાલી મંડળ વિરોધ કરે છે, કારણ કે ગુજરાત સિવાયના બીજા સાત રાજ્યોમાં સ્કૂલો ખોલવાની જાહેરાત કરી હતી પણ પછીથી તેમણે સ્કૂલો નહીં ખોલવી તેવી જાહેરાતો કરેલી છે. ઉપરાંત SOPની જે સલાહ લેવામાં આવી હતી તેમાં વાલી મંડળની ક્યાંય સલાહ લેવામાં આવી નથી. ગુજરાતના કોઈપણ વાલીની સરકારે આ નિર્ણય અંગે સલાહ લીધી નથી. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ તરીકે મારી સરકારને વિનંતી છે કે તમે બે મહિના રહીને સ્કૂલો ખોલો. કારણકે અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ સરકારને સૂચના આપી છે કે હમણાં ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જે દિવાળી પછી પણ વધી શકે છે માટે સરકાર બે મહિના સુધી કોઈપણ શૈક્ષણિક સત્ર ચાલુ ના કરે. કારણ કે જો સ્કૂલો ખુલશે તો ક્લાસિસ સંચાલકો પણ કહેશે કે અમને અમારા ક્લાસિસો ખોલવા દો.