અમદાવાદ શહેરના ખરાબ રસ્તાઓથી ત્રાસીને શહેરના નાગરિક દ્વારા જાહેરહિતમાં અરજી કરવામાં આવી છે. શહેરમાં બિસમાર રોડ મામલે હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમા એવી રજૂઆત કરાઇ છે કે, કોર્પોરેશન સારા રોડ આપવામાં નિષ્ફળ નીવડી છે તેથી રોડ માટે ઉઘરાવેલા ટેક્સમાંથી 25 ટકા રકમ પરત આપવી જોઇએ. નાગરિકો પાસેથી વેરો વસૂલાય છે પરંતુ તૂટેલા રોડ રિપેર કરાતા નથી. શહેરમાં ઠેર ઠેર ખરાબ રસ્તા જોવા મળે છે, ખરાબ રસ્તાઓ પરથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.
ખરાબ રસ્તાને રિપેર કરવા અંગે વારંવાર નાગરિકો દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદો કરવા છતાં તેમની ફરિયાદનું નિવારણ લાવવામાં નથી આવી રહ્યું. જવાબદાર અધિકારીઓના ખિસ્સામાંથી ટેક્સની રકમ વસૂલીને તેમાંથી રોડ રિપેર કરવા જોઇએ. જે રોડ જે અધિકારીના તાબા હેઠળ આવતા હોય તેમની પાસેથી અંગત પણે ખર્ચે વસૂલવો જોઇએ.
રસ્તા પર રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ બની છે. શહેરના લગભગ તમામ રોડ પર એક ફૂટમાં ખાડા પડી ગયા છે. છતાં તેને રિપેર નહીં કરતા અનેક લોકો અકસ્માતે પીડાય છે. તમામ મુશ્કેલીનો સામનો કરીને પણ નાગરિકો પાસેથી ટેક્સ વસૂલી શકાય નહીં. આ અંગે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.