પાટણ જીલ્લાની રાધનપુર ગૃપ જૂથ સુધારણ યોજનાની ગોકળ ગતિએ ચાલતી કામગીરી ૧૮ માસની સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવાની મુખ્યમંત્રીએ આપેલા આદેશનો ફિયાસ્કો.. રાધનપુર જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગની કચેરીની દેખરેખ હેઠળ શાંતિધામ સામે ગૃપ જૂથ સુધારણ યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરવામાં આવેલ કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરવા ની હતી. કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલા રાજ્યના મુખ્ય મંત્રીએ સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવા આપેલા આદેશો બાદ પણ સમય મર્યાદા વીત્યા બાદ પણ હજુ સુધી કામગીરી પુર્ણ કરવામાં આવેલ નથી. રાધનપુર પાણી પુરવઠા વિભાગની ગ્રુપ જૂથ યોજના અંતર્ગત રૂપિયા ૭૧.૧૨ કરોડના ખર્ચે 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટ સહિતની કામગીરી જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લી.અમદાવાદ ખાતેની એજન્સી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી ટેન્ડર ની શર્ત મુજબ 18 માસમાં કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવાની હતી. રાધનપુર ખાતે ફેબ્રુઆરી માસમાં આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી હતી. આ કામગીરી કોન્ટ્રાક્ટરે તા.૫ મી ઓગસ્ટે પૂર્ણ કરવાની હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી પાણી પુરવઠા ના અધિકારીઓને પણ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે બાબતમાં રસ ના હોય તેવું જણાઈ રહ્યું છે. આ કામગીરીથી રાધનપુર શહેર સહીત તાલુકાના ૧.૭૪ લાખ લોકોને સમયસર પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી પીવા મળી રહે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાકટર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા લોકો લાભથી વંચિત રહેવા પામ્યા છે. આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે