પાલનપુર વિદ્યામંદિરમાં આવેલ શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે શૈક્ષણિક કારકિર્દીમાં નિષ્ફળતાઓને કેવી રીતે હેન્ડલ કરવી વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના મુખ્ય વક્તા અમદાવાદ દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ઉત્સવ પરમારે સીવીલ સર્વિસ પરીક્ષાની પધ્ધતિ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, દર વર્ષે દેશભરમાંથી લાખો યુવાનો સીવીલ સર્વિસની પરીક્ષા આપે છે. આ પરીક્ષામાં પ્રિલીમ, મેઇન્સ અને ઇન્ટરવ્યું આપ્યા બાદ માંડ ૯૦૦ થી ૧,૦૦૦ જેટલાં ઉમેદવારો IAS, IPS, IFS સહિત વિવિધ સનદી સેવાઓમાં જોડાઇને દેશ સેવા કરે છે. તેમણે કહ્યું કે, સીવીલ સર્વિસની આ ચેલેન્જીંગ કેરિયરમાં દેશની સેવા સાથે છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિઓ રહેલી છે.
શ્રી ઉત્સવ પરમારે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ જ્ઞાન પિરસતા જણાવ્યું કે, પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલીમાંથી પ્રેરણા મેળવીને ભરતપુરના નિરક્ષર વ્યક્તિ કે જેમણે પણ પક્ષીવિદ તરીકે નામના મેળવી છે એવા બ્રિજેન્દરસિંહે અંગ્રેજી ભાષામાં બે પુસ્તકો લખાવ્યા છે તેમને આપણે સફળ ગણીશું કે નિષ્ફળ ? તેવી જ રીતે બાલાસિનોરના ડાહ્યાભાઇ પણ એક અભણ મજુર છે. તેઓ ડાયાનાસોર વિશે ખુબ સરસ જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત ધોળાવીરાના સવજીભાઇ ધોળાવીરાની આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે અદ્દભૂત જ્ઞાન ધરાવે છે. ભાવનગરના કૌશિક ઘેલાણી ધોરણ- ૧૨ ફેઇલ છે, છતાં આજે શ્રેષ્ઠ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે. જો આવી પરિસ્થિતિમાં પણ માણસ સફળ થઇ શકતો હોય તો તમારી પાસે આજે કેટલી બધી સુખ- સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને સફળતાની સીડી સરળતાથી ચડી શકો છો એમ કહી વિદ્યાર્થીઓને પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આપણા જ્ઞાન અને આવડતથી આપણે ખુશ રહેવું જોઇએ. તેમણે ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશે વાત કરતાં જણાવ્યું કે, આપણો મૂળભૂત આકાર વર્તુળ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી ગોળ છે. આર્યભટ્ટે કરેલી ઝીરોની શોધ અને તેના મહત્વ વિશે તેમણે વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં વિવિધક્ષી વિદ્યામંદિર સ્કુલના આચાર્યશ્રી નરેશભાઈ પંચાલ, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરશ્રી કૌશિક ઘેલાણી, શ્રી હર્ષદીપસિંહ જાડેજા સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.