રાજસ્થાન ની ધટના :પીડિત પરિવાર 10 લાખના વળતર અને સરકારી નોકરીની ખાતરી મળ્યા બાદ અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો, SHO અને પટવારી સસ્પેન્ડ

  • કેસમાં પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ
  • જયપુરની SMS હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન ગુરુવારે પૂજારીનું મોત થયું હતું

 

રાજસ્થાનના કરોલી જીલ્લાના સપોટરા વિસ્તારના બૂકના ગામમાં તોફાની તત્વોએ મંદિરના એક પુજારી બાબૂલાલ વૈષ્ણવની સળગાવી હત્યા કરી દીધી હતી. મૃતદેહ શુક્રવાર મોડી રાત્રે જયપુરથી તેમના ગામ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારે અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિવારે રૂપિયા 50 લાખ વળતર અને એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પરિવારને 10 લાખ વળતર અને એક સભ્યને સરકારી નોકરી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો.આરોપીઓની મદદ કરનારા પટવારી અને SHOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ માટે ગામમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

આ અગાઉ કરૌલી જિલ્લાના સપોટરામાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયેલા પૂજારી બાબુલાલ વૈષ્ણવની લાશ શુક્રવારે મોડી રાત્રે તેના ગામે પહોંચી હતી. એ પછી શનિવારે સવારે મોટી સંખ્યામાં ભાજપનેતા અને કાર્યકર્તાઓ પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા. બીજીતરફ, પીડિત પરિવારની માગ હતી કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે. તેમની મદદ કરનારા પટવારી અને પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે. આ ઉપરાંત પરિવારે 50 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે એવી માગણી પણ કરી હતી.

આ અગાઉ પીડિત પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અંતિમસંસ્કાર કરવામાં નહીં આવે. જ્યારે સાંસદ ડો. કિરોડીલાલ મીણા, પૂર્વ ધારાસભ્ય માનસિંહ પણ પીડિત પરિવારના ઘરે પહોંચી ગયા હતા. કિરોડીલાલ મીણાએ કહ્યું હતું, ‘ગામની તમામ જાતિઓના પંચ-પટેલોની સાથે વાતચીત પછી આ નિર્ણય લેવાયો છે કે પૂજારી પરિવારને દરેક સ્થિતિમાં ન્યાય મળવો જોઈએ. ગુનેગારોને આકરી સજા થવી જોઈએ. મેં પૂજારીના પરિવારને એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. ગેહલોત સરકાર પોતાની ઊંઘ ઉડાડે અને પીડિત પરિવારને ન્યાય અપાવે.’

કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યપાલે મુખ્યમંત્રી સાથે ફોન પર ચર્ચા કરી

રાજ્યપાલ કલરાજ મિશ્રાએ શનિવારે સવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે રાજસ્થાનમાં થઈ રહેલા ગુનાઓ અંગે ફોન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજ્યપાલ દ્વારા કરૌલીમાં પૂજારીને જીવતા સળગાવવાની, બાડમેરમાં સગીરા સાથે બળાત્કાર સહિત રાજ્યની કાયદો અને વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી. રાજ્યપાલે મુખ્યમંત્રી સમક્ષ આ ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ભાજપે ત્રણ સભ્યની કમિટી બનાવી

ભાજપ પ્રદેશપ્રમુખ સતીષ પુનિયાએ સમગ્ર ઘટનામાં ત્રણ સભ્યની કમિટીની રચના કરી છે, જેમાં સાંસદ રામચરણ બોહરાની સાથે રાષ્ટ્રીય મંત્રી અલકા ગુર્જર અને જિતેન્દ્ર મીણાને સામેલ કર્યા છે. જેઓ સમગ્ર ઘટનામાં પોતાનો રિપોર્ટ ભાજપના પ્રદેશ નેતૃત્વને સોંપશે.

પીડિતે કહ્યું હતું – આરોપી મંદિરની જમીન પર કબજો કરવા માગે છે

પોલીસ અનુસાર, પીડિતે કહ્યું હતું, ‘કૈલાશ મીણા પોતાના સાથીઓ શંકર, નમો, કિશન અને રામલખનની સાથે મંદિરના વાડા પર કબજો કરીને છાપરું લગાવી રહ્યા હતા. મેં વિરોધ કર્યો તો પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. મારો પરિવાર મંદિરની 15 વીઘા જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

વિવાદ કેવી રીતે શરૂ થયો?

બાબુલાલ વૈષ્ણવ સપોટરા તાલુકાના બૂકના ગામના જૂના રાધાકૃષ્ણ મંદિરમાં પૂજા કરતા હતા. ગામવાસીઓએ મંદિર માટે ખેતીની જમીન દાનમાં આપી હતી, જે મહેસૂલ રેકોર્ડમાં મંદિર માફીમાં નોંધાયેલી છે. લગભગ એક મહિના અગાઉ કેટલાક લોકો જમીન પર કબજો જમાવવાની કોશિશ કરવા લાગ્યા. પૂજારીએ પંચ-પટેલોને ફરિયાદ કરી હતી. 4-5 દિવસ અગાઉ પણ ગામનાં 100 ઘરોની બેઠક થઈ હતી, જેમાં પંચોએ પૂજારીને સમર્થન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *