બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના ગેળા ગામમાં શ્રી હનુમાનદાદાનું ચમત્કારી મન્દિર આવેલું છે. જ્યાં વર્ષોથી દર્શનાર્થે અને માનતાઓ પુર્ણ કરવા આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાના ફળ સ્વરૂપે આજે લાખો-કરોડો શ્રીફળનો મોટો પહાડ બનવા પામ્યો છે. દર શનિવારે પગપાળા અને વાહનોમાં લઈને આવતા અસંખ્ય શ્રદ્ધાળુઓની શ્રીફળના તોરણ અને શ્રીફળ ચડાવવાની બાધા, માનતા કે આખડીઓ રાખે છે જેના કારણે શ્રીફળ નો પહાડ બની ગયો છે જે દિવસેને દિવસે મોટો થતો જાય છે.છતાં પણ શ્રીફળ બગડતું નથી કે તેને કોઇ લઇ જઇ શકતું નથી. શનિવાર અને મંગળવાર ઉપરાંત હનુમાનજયંતી અને વાર તહેવારે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓની અહી ભીડ જામે છે.
આથી લાખણી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાબરાભાઈ ચૌધરી દ્વારા આ ભવ્ય સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ધાર્મિક સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા જિલ્લા કલેકટરને સાધનિક દસ્તાવેજો સાથેની દરખાસ્ત મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું. આમ,બનાસકાંઠામાં આવેલા ગુજરાત રાજ્યમાં શ્રીફળનો પહાડ ધરાવતા એકમાત્ર ગેળા ગામના હનુમાન દાદાના મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની તજવીજ શરૂ થતાં દાદાના ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહિ હનુમાન દાદા ના ભક્તો જ નહીં પરંતુ આજુબાજુ ની અનેક શાળા મહાશાળાઓના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રવાસ આયોજન માં ગેળા ગામે બિરાજમાન શ્રીફળ વાળા દાદા ના અચુક દર્શન કરવા આવતા હોય છે.આથી જો સરકાર ગેળા ને પર્યટન સ્થળ તરીકે સમાવવામાં આવેતો ભાવિક ભક્તોને વધુ સારી સુવિધાઓ મળી શકે તેમ છે.