વડાપ્રધાને કહ્યું- કોરાનાની વેક્સિન દેશના દરેક નાગરિક માટે ઉપલબ્ધ બનશે, કોઈપણ બાકી નહીં રહે; ફ્રન્ટલાઇન વર્કર્સને મળશે પ્રાયોરિટી

  1. ભારત સરકાર તરફથી હાલ વેક્સિન ડિસ્ટ્રિબ્યુશનની તૈયારીઓ કરવામાં આવી રહી છે
  2. અનુમાન મુજબ સરકારે શરૂઆતના તબક્કે વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે 50 હજાર કરોડ રૂપિયા સુધીનું બજેટ રાખ્યું છે

કોરોના વાઈરસનું સંકટ દેશ અને વિશ્વમાં યથાવત્ છે. ભારતમાં હાલ કોરોનાની ઘણી વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે ભારતમાં કોવિડ વેક્સિન ઉપલબ્ધ થશે ત્યારે એ દરેક નાગરિકને આપવામાં આવશે. એમાં કોઈ બાકી રહેશે નહિ.

એક અંગ્રેજી ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કોરોના વેક્સિનને લઈને ચર્ચા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનના સવાલ પર કહ્યું હતું હું દેશને ધીરજ આપવા માગું છું કે જેવી વેક્સિન દેશમાં ઉપલબ્ધ થશે દરેકને એ આપવામાં આવશે, કોઈને પણ બાકી રખાશે નહિ.

કોરોના સંકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાં સરકારે યોગ્ય સમયે લીધેલા નિર્ણયના કારણે અને લોકોની મદદથી ઘણા લોકોના જીવ બચ્યા છે. લોકડાઉન લાગુ કરવા અને પછી અનલોકની પ્રક્રિયામાં જવાનો ટાઈમિંગ સંપૂર્ણ રીતે યોગ્ય હતો.

ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે કોરોના વાઈરસનું સંકટ હાલ પણ યથાવત્ છે. એવામાં લોકોએ સાવધાની રાખવી જોઈએ. તહેવારના દિવસોમાં લોકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, આ સમય કોઈપણ પ્રકારની ઢીલ આપવા માટેનો નથી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તરફથી હાલ વેક્સિન ડિસ્ટ્રિબ્યુશનની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી સમય આવવા પર દેશમાં એ ઉપલબ્ધ કરાવી શકાય. એક અનુમાન મુજબ, સરકારે શરૂઆતના તબક્કે તમામ દેશવાસીઓને વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે 50 હજાર કરોડ રૂપિયા સુધીનું બજેટ રાખ્યું છે. વેક્સિન આપવામાં લગભગ 385 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

જોકે હાલ અધિકારિક રીતે એની જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ભારત સરકાર તરફથી પણ આ અંગે કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે દેશમાં વૈજ્ઞાનિકો સતત વેક્સિન બનાવવાને લઈને કામ કરી રહ્યા છે અને વેક્સિનની ટ્રાયલ હવે આગળના સ્ટેજમાં પહોંચી ગઈ છે.

તાજેતરમાં જ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણીઢંઢેરામાં જાહેરાત કરી હતી કે સત્તામાં આવવા પર તમામ બિહારવાસીઓને મફતમાં કોવિડ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ પછી ઘણા પ્રકારના સવાલ ઊઠવા લાગ્યા હતા. રાજકીય પક્ષોએ સરકારના કોવિડ વેક્સિનના પ્લાન પર નિશાન સાધ્યું હતું અને એને ચૂંટણી ફાયદા સાથે જોડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *