OBC સમાજે તમને સત્તા સુધી પહોંચાડ્યા છે, 10 ટકા અનામત નાબુદ કરી તેનો પુન: વિચાર કરો બાકી સમાજ માફ નહીં કરે

ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીનું વર્ષ આવે ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિદ્ધપુરના કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC સમાજની 10 ટકા અનામત જે રદ્દ કરી છે, તેના પર પુન: વિચાર કરવા પત્ર લખ્યો છે. આ સાથે ચંદનજી ઠાકોર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર OBC સમાજ સાથે અન્યાય કરે છે. પણ ભાજપ એ ના ભુલે કે OBC સમાજે તમને સત્તા સુધી પહોંચાડ્યા છે, તે કોંગ્રેસને પણ પહોંચાડશે.

ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતમાં 53 ટકા વસ્તી OBC સમાજની છે. સરકાર OBC સમાજ જોડે અન્યાય કરે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર જો સુપ્રિમકોર્ટમાં અપીલ દાખલ કરી શકતી હોય, તો ગુજરાત સરકાર કેમ નહીં. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. છતા ભાજપ સરકાર OBC સમાજ જોડે અન્યાય કરે છે. OBC સમાજનો આગેવાન ક્યાંય સરપંચ બને, ડેલીકેટ બને, અધિકારી ન બને તે માટે ભાજપ સરકાર આવું કરે છે. OBC સમાજની 10 ટકા અનામત નાબુદ કરી તેના પર મુખ્યમંત્રી સુપ્રિમ કોર્ટમાં રિ-ઓપનની અરજી દાખલ કરે અને જ્યાં સુધી સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ ન આવે ત્યાં સુધી ચૂંટણીઓ ન થાય તેવી વિનંતી છે, નહીં તો 2022ની ચૂંટણીમાં OBC ભાજપની જેમ કોંગ્રેસને પણ સત્તા સુધી પહોંચાડી શકે છે.

ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું કે, 3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા OBC અનામત હતી એ નાબુદ કરીને ભારતીય જનતા પાર્ટીએ પ્રદર્શન કર્યું છે. OBC સમાજના હક રદ્દ કરવાની ભાજપની મંછા છે. OBC હક અને અધિકારો છીનવી લેવાનો જો ભાજપનો કારસો હોય તો 2022માં હાર સહન કરવાની તાકાત રાખે. OBC સમાજ ક્યારેય માફ નહીં કરે. ભારતીય જનતા પાર્ટી માત્રને માત્ર ઉધોપતિઓના ઇશારે ચાલે છે. OBC સમાજ ભલે પાછળ હોય પણ આ માફ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *