બનાસકાંઠામાં ગામે આજે કૂંપટ ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા બાબતે થયેલી બબાલમાં બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતાં એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મી ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા
ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે ડીસા તાલુકા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે. કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા . લગ્ન માં દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને જૂથ ને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તે સમયે દરબાર સમાજ ના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલ દાંતીવાડા પી.એસ.આઇ સ્નેહિત કુમાર દેસાઈ ,પોલીસ કોન્સ્ટેબલ વિક્રમદાન ગઢવી દાન ગઢવી તેમજ ભરતભાઇ પુનડિયા ને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ડીસા ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જો કે ઇજાગ્રસ્તો ની તબિયત વધુ ગંભીર હોવાના કારણે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલા ની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અત્યારે ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે, જ્યારે પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.