ગુજરાત ના મુખ્યમંત્રીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનનું ભૂમિપૂજન કરાયું હતું.ગુજરાત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ને NAACમાં મળેલ A++ રેન્ક બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રાજ્ય માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. શિક્ષણે લોકો સુધી પહોંચવું જોઈએ, એવા સ્વામી વિવેકાનંદના વિચારને BAOU ચરિતાર્થ કરી રહી છે અને રાજ્યના ઘરે ઘરે જ્ઞાનની ગંગા પહોંચાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ BAOU દ્વારા છેવાડેના લોકો, મહિલાઓ, દિવ્યાંગો તથા ખાસ કરીને ટ્રાન્સજેન્ડરને શિક્ષિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ સમય સાથે ચાલીને દ્રોણાચાર્ય સેન્ટર કે એકલવ્ય પોર્ટલ થકી રાજ્યના લોકોને ઘરે બેઠા બેઠા જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાની તક પૂરી પાડી રહી છે. પ્રાદેશિક કેન્દ્રો થકી છેવાડેના લોકો સુધી શિક્ષણ આસાનીથી પહોંચી શકશે, એવી આશા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં દૂરવર્તી શિક્ષણનું મહત્ત્વ વધવા પામ્યું છે. રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. રાજ્યમાં 20 વર્ષ પહેલાં માત્ર 11 યુનિવર્સિટીઓ હતી, આજે આ સંખ્યા વધીને 102એ પહોંચી છે. ઊર્જાથી થનગનતા યુવાનોને શિક્ષણ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું.‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સૌને સહભાગી થવા સાથે મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃત કાળને કર્તવ્ય કાળમાં પરિવર્તિત કરવા આહ્વાન આપ્યું હતું. અને જ્ઞાનના અમૃતને BAOU જેવી યુનિવર્સિટી રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડશે, એવી આશા વ્યક્ત કરી હતી.