પાટણમાં પ્રધાનમંત્રી વીમા યોજનાની રકમ ચુકવવા માં લેભાગુ તત્વો દ્વારા છેતરપિંડી

ભારત સરકાર દ્વારા આમ નાગરિક સુધી લાભ પહોંચે અને આપત્તિના સમયમાં લોકોને નજીવા પ્રિમિયમે વીમા યોજનાની સુરક્ષાનો લાભ મળી શકે એવા આશયથી વડાપ્રધાન વીમા યોજના અમલી બનાવવામાં આવેલી છે. જેમાં નજીવા પ્રીમિયમથી બેંકમાં ખાતું ખોલાવી ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં તેમના વારસદારોને બે લાખ જેટલી વિમા રકમ આપવામાં આવે છે, પરંતુ પાટણ સહિત જિલ્લા વિસ્તારમાં કેટલાક લેભાગુ તત્વો એજન્ટના સ્વરૂપમાં અભણ અને ભોળી પ્રજાને છેતરીને આ યોજનાનો લાભ અપાવવાના બહાને એમની સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનું એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું.

પાટણ તાલુકાના રામનગર ગામના હરેશભાઈ ઓખાભાઈ સોલંકી નામના એક નાગરિકે લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટણ સહિત જિલ્લામાં કેટલાક તત્વો વડાપ્રધાન વીમા યોજના અંતર્ગત અભણ અને ભોળા લાભાર્થીઓ સાથે આર્થિક છેતરપિંડી કરી તેમનું શોષણ કરી રહ્યા છે. જેની તપાસ કરીને આવા તત્વોને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, પાટણ સહિત જિલ્લામાં કેટલાક લેભાગુ તત્વો એજન્ટના સ્વરૂપમાં નીકળી અભણ અને ભોળા લોકોને તેમજ વિધવા બહેનોને આ વીમા યોજનાનો લાભ અપાવવા સમજાવીને તેમના બેંકમાં ખાતા ખોલાવે છે અને જે પરિવારમાં કોઈ વ્યક્તિને કેન્સર, કિડની, ટીબી કે અન્ય જીવલેણ બિમારી હોય તેવા લોકોને સાથે રાખી બેન્કમાં ખાતા ખોલાવી ખાતાધારકના અને તેમના વારસદારના આધારકાર્ડ, બેંક પાસબુક, એટીએમકાર્ડ જેવા ડોક્યુમેન્ટ આ એજન્ટો તેમની પાસે રાખી લે છે અને જે તે લાભાર્થી વ્યક્તિનું ટૂંક સમયમાં મૃત્યુ નિપજે ત્યારે આ એજન્ટો દ્વારા વિમાની રકમ ઉપાડી લેવામાં આવે છે અને મૃતકના વારસદારને કે ઘરના કોઈ વ્યક્તિને 50 હજાર કે 60 હજાર જેટલી વિમાની રકમ આપી એજન્ટો દ્વારા બાકીની રકમ ચાઉં કરી જવામાં આવે છે. એમ હરેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

હરેશભાઈના જણાવ્યા મુજબ પાટણ શહેર અને તાલુકા તેમજ જિલ્લામાં આવા અનેક બોગસ અને લેભાગુ એજન્ટો ફરી રહ્યા છે, તેમનું વ્યવસ્થિત નેટવર્ક ફેલાયેલું છે. તેઓ અભણ અને ભોળા લોકોને મળી વિમાનો લાભ અપાવવાની વાત કરી લોકો સાથે વ્યવસ્થિત રીતે છેતરપિંડી આચરી રહ્યા હોવાનું અને ઘણીવાર તો બેંકમાં ખાતું ખોલવા માટેના રૂ. 2000 પણ આ એજન્ટો ભરી દેતા હોવાનું અને મહત્વના દસ્તાવેજો પોતાની પાસે રાખી લઈ બિમાર કે અશક્ત વ્યક્તિના મૃત્યુ બાદ બેંકમાંથી મળવાપાત્ર વીમા રાશિ આ લોકો ઉપાડીને લાભાર્થીના વારસદારને માત્ર 50 હજાર જેટલી જ રકમ આપી બાકીના નાણાં એજન્ટ કરી જઈ અભણ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

આ સમગ્ર બાબત ખૂબ જ ગંભીર હોઈ જો જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ મારફતે ઊંડી અને તટસ્થ તપાસ કરાવાય તો વીમા રકમ ચૂકવવાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા રહેલ હોવાનું જણાવી આ અંગે કડક પગલાં ભરી અભણ પ્રજાને છેતરતા આવા લેભાગુ તત્વોને ઝડપી જેલ ભેગા કરવામાં આવે તો અનેક લોકો છેતરાતા બચી શકશે, એમ હરેશ ઓખાભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

પાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં રહેતા પરમાર અરુણભાઈએ જણાવ્યું હતું કે, અમે ગરીબ છીએ મારા બન્ને ભાઈ બીમાર હતા એટલે બે એજન્ટ આવ્યા હતા અને કહ્યું હતું કે, તમે બંને ભાઈઓના ડોકુંમેન્ટ આપો એટલે તમને 50 હજાર મળશે.એટલે અમે પહેલા ભાઈ વિક્રમના ડોકુંમેન્ટ આપ્યા એટલે 50 હજાર આપી ગયા હતા. ત્યારે બીજો ભાઈ પણ બીમાર હતો એટલે એમને બીજા ભાઈ જીગ્નેશના ડોક્યુમેન્ટ માગ્યા અને 10 હજાર રૂપિયા આપ્યા અને ડોક્યુમેન્ટ લઈ ગયા, એના રૂપિયા 6 મહિને આવશે એમ કહ્યું હતું. જે હજુ સુધી આપી ગયા નથી. આવા અમારા જેવા કેટલાય ગરીબના પાસ થયેલા રૂપિયા આવા એજન્ટો લઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *