વાવ થરાદ જિલ્લાના દિયોદર(Diyodar) વિસ્તારમાં ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શરૂઆતમાં ગાડીમાંથી દાગીના ભરેલી બેગ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તપાસ આગળ વધતા સમગ્ર ઘટના ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદી સહિત ત્રણ આરોપીઓને ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો મુજબ મહેસાણા નિવાસી અલ્પેશકુમાર ભૂપેન્દ્રભાઈ સોની ચાંદીના દાગીનાના સેલ્સમેન તરીકે કામ કરે છે. તેમણે 14 ફેબ્રુઆરીએ દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ગાડીમાંથી અંદાજે 9.5 કિલો ચાંદીના દાગીના (મૂલ્ય અંદાજે ₹23 લાખ) ભરેલી બેગ ચોરી થઈ ગઈ છે. ફરિયાદ બાદ પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી.

તપાસના પ્રારંભિક તબક્કામાં કોઈ ચોક્કસ પુરાવો ન મળતાં પોલીસે ફરિયાદીની વાતમાં શંકા વ્યક્ત કરી અને ડ્રાઈવર અજય સથવારાને પૂછપરછ માટે બોલાવ્યો. સઘન પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે આખી હકીકત કબૂલ કરી દીધી. ત્યારબાદ પોલીસે ફરિયાદી અલ્પેશ સોની, ડ્રાઈવર અજય સથવારા અને અન્ય સહયોગી રાહુલ માજીરાણાને ઝડપી લીધા.
તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદી પર અગાઉ નાણાકીય દેવું હોવાથી તેણે દાગીના ગુમ થયાનો નાટક રચ્યો હતો. આરોપીઓએ મળીને માસ્ટર પ્લાન બનાવ્યો અને થરા વિસ્તારમાંથી ગાડીમાંથી દાગીના ભરેલી બેગ ગાયબ કરાવી હતી. આ માટે સહઆરોપીને ₹50 હજારની લાલચ આપવામાં આવી હતી. ચોરી બાદ દાગીના આરોપીના ઘરે છુપાવવામાં આવ્યા હતા, જ્યાંથી પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો.
કેસ અંગે માહિતી આપતાં વી. જે. પ્રજાપતિએ જણાવ્યું કે મુખ્ય આરોપી અને તેના ડ્રાઈવરે અગાઉથી યોજના બનાવી ખોટી ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કાવતરું બહાર આવતા સ્થાનિક સોની વેપારીઓમાં પણ આક્રોશ ફેલાયો છે, કારણ કે તેઓ ફરિયાદીના વિશ્વાસમાં આવી પોલીસ મથક સુધી પહોંચ્યા હતા.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ખોટી ફરિયાદ અને ષડયંત્ર જેવા કેસોમાં કડક પગલાં લેવાશે જેથી આવા ગુનાઓને અટકાવી શકાય.