ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે, જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. તેમણે કારણ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ. રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી હોવાની વાતને અફવા ગણાવી હતી. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહના અંતે દિવસનો કર્ફ્યૂ અમલી બનાવાશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી.
કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.