નાણાં મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, યુનાઇટેડ પેમેન્ટ ઈન્ટરફેસ લોકો માટે ઉપયોગી ડિજિટલ સેવા છે અને સરકાર તેના પર ફી લાદવા અંગે વિચારણા કરી રહી નથી. વાસ્તવમાં એવી ચર્ચા હતી કે સરકાર યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જની સિસ્ટમ લાવવા જઈ રહી છે.
નાણાં મંત્રાલયના આ નિવેદનથી પેમેન્ટ સિસ્ટમમાં ફી અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિસ્કશન પેપરથી ઊભી થયેલી આશંકાઓ દૂર થાય છે. ડિસ્કશન પેપર સૂચવે છે કે યુપીઆઈ ચુકવણી વિવિધ કેટેગરીમાં લેવામાં આવી શકે છે. હાલ યુપીઆઈ દ્વારા થતી લેવડ દેવડ પર કોઈ ચાર્જ લાગતો નથી.
યુપીઆઇ ચાર્જ પર કોઇ વિચારણા નહીં
નાણા મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે, “યુપીઆઈ લોકો માટે ઉપયોગી સેવા છે, જે લોકોને ખૂબ જ સારી સુવિધા આપે છે અને અર્થવ્યવસ્થાની ઉત્પાદકતા વધારે છે. સરકાર યુપીઆઈ સેવાઓ માટે કોઈ ચાર્જ લાદવાની વિચારણા કરી રહી નથી. તેમણે જણાવ્યું હતું કે, સર્વિસ પ્રોવાઇડરની ચિંતાઓ ખર્ચની વસૂલાત માટે અન્ય માધ્યમો દ્વારા પૂરી કરવી પડશે.
કઇ રીતે ફેલાઇ આ વાત?
દેશમાં યુપીઆઈના વધતા ઉપયોગ સાથે રિઝર્વ બેંકે પેમેન્ટ સિસ્ટમ ચાર્જ પર એક રિવ્યૂ પેપર જાહેર કર્યું છે. આ પેપરમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર સ્પેશિયલ ચાર્જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવાની વાત કહેવામાં આવી હતી. આ ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પર નિર્ભર કરે છે. આ પેપરમાં પૈસા ટ્રાન્સફરની રકમ પ્રમાણે એક બેન્ડ તૈયાર કરવું જોઈએ, જેમાં બેન્ડ પ્રમાણે તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે. આ પેપરમાં યુપીઆઈમાં ચાર્જ નક્કી કરેલા દરે અથવા તો પૈસા ટ્રાન્સફર પ્રમાણે જ વસુલવામાં આવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે. હાલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી લઈ શકાશે નહીં.
લોકો મુકાયા મૂંઝવણમાં
સરકાર તરફથી આ સ્પષ્ટતા ત્યારે કરવામાં આવી છે, જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય બેંક યુપીઆઈ સિસ્ટમ દ્વારા કરવામાં આવતા દરેક નાણાંકીય વ્યવહારમાં ચાર્જ ઉમેરવા પર વિચાર કરી રહી છે. આ અહેવાલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા હતા અને ઘણાએ આ અહેવાલ પર ભારત સરકાર પાસે સ્પષ્ટતા પણ માંગી હતી.