બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઇ આ અઠવાડિયા દરમિયાન જિલ્લામાં વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે. જિલ્લામાં હાલમાં રવિ ઋતુમાં રાઇ, ચણા, અજમો, જીરૂ, ઘઉં, સવા, તમાકુ, બટાકા, શાકભાજી વગેરે પાકોના વાવેતરનો સમાવેશ થાય છે.
વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમા ખેતરમા ઉભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઇ, વરિયાળી, જીરૂ, ચણા, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતિના પગલાં લઈ ખેતી પાકોમા જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. રાઇ, ચણા, અજમો, જીરૂ, ઘઉં, સવા, તમાકુ, બટાકા, શાકભાજી સહિત કોઇ પાકમા જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જીરૂ પાકમાં કાળીયા રોગના રક્ષણ માટે મેનકોઝેબ દવા એક પંપમાં ૩૫ ગ્રામ પ્રમાણે મેળવી સાબુના સંતૃપ્ત દ્રાવણ સાથે જીરૂના પાકમાં ૩૫ દિવસ, ૪૫ દિવસ અને ૫૫ દિવસ મુજબ ૩ છંટકાવ કરવા. રાઇ, વરિયાળી, શાકભાજી જેવા પાકોમાં મોલો મશી અને તડતડિયા જેવી ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ભેજવાળા વાતાવરણને કારણે રાઈ તથા જીરૂ જેવા પાકોમાં ફુગજન્ય રોગ થવાની શક્યતાઓ હોય ભલામણ મુજબ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.
કમોસમી વરસાદની પરિસ્થિતી ઉભી થાય તો રાઇ, ચણા, અજમો, જીરૂ, ઘઉં, સવા, તમાકુ, બટાકા, શાકભાજી વગેરે ઊભા પાકોમા પિયત ટાળવુ. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમા સુરક્ષિત રીતે જ પહોંચાડવા. વધુ પ્રમાણમા કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં જીરૂ, રાઇ તથા ચણા જેવા ઉભા પાકોમાં પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો, વિણી કરેલ શાકભાજી કે કાપણી કરેલ પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. કપાસ પાકમા વિણી બાકી હોય તો કરી લેવી અને કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ અથવા જંતુનાશક દવા જેવી ખેત સામગ્રી પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવુ. વધુ માહિતી માટે નજીકના ગ્રામ સેવકનો અથવા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
વાદળછાયા વાતાવરણમાં બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ પાક રક્ષણ માટે આટલી કાળજી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

Leave a Comment