4 નવેમ્બરે અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર આવેલા રેવાકાકા એસ્ટેટમાં ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલી રહેલા સાહિલ એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં કેમિકલ પ્રોસેસ સમયે બ્લાસ્ટ થયા હતા. આ પ્રચંડ વિસ્ફોટને કારણે આસપાસના 4 ગોડાઉનોના અંદાજે 100 ટનથી વધુ આરસીસીનું બાંધકામ તૂટી પડ્યું હતું અને 12 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ વિસ્ફોટને કારણે અનેક પરિવારો નિરાધાર બન્યા છે તેમજ કોઈએ ભાઈ તો કોઈએ બહેન કે માતા-પિતા ગુમાવ્યા છે. નારોલની કોઝી હોટલ પાસે રહેતા મથુર ભાઈ અને તેમની પત્ની પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. જેને કારણે તેમના બાળકો અનાથ થઈ ગયા છે.બે દિવસ બાદ દીકરાનો જન્મ દિવસ હોવાથી માતા પિતા તેમના માટે ગિફ્ટ લાવ્યા પણ વિધિની વક્રતા તો જુઓ હવે દીકરાએ માતા પિતાને કફન ઓઢાડવાની ફરજ પડશે.
બુધવારે કામ પર ગયા અને પરિવારનો માળો પિંખાયો
પરંતુ બુધવારે તેઓ દરરોજની જેમ કામ પર ગયા પણ તેમને ખબર ન હતી કે આજે તેમના પરિવારનો માળો વિખરાઈ જશે. એક સાથે બાળકોના માથેથી માતા અને પિતાનો પડછાયો હટી જશે. આ કરુણાંતિકામાં માથુરભાઈ અને તેમના પત્નીના મોત થયા.આ સાથે જ તેમના બન્ને સંતાનો અનાથ થઈ ગયા છે.હાલ બન્નેના મૃતદેહો વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે. તેમના બાળકો હવે કોના સહારે જીવન વિતાવશે તે પણ પીડાદાયક પ્રશ્ન છે.