ગુજરાતભરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ છે. જેમાં બનાસકાંઠાના 5 તાલુકામાં જળસંકટ એટલું કપરું બન્યું છે કે લોકો વિરોધ કરવા મજબુર બન્યા છે. આજે દિયોદરમાં 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે. આ સાથે ખેડૂતોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી દિયોદરમાં 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે. સિંચાઇના પાણીની વિકટ સમસ્યા ઉભી થતાં દિયોદર, લાખણી, ડીસા,કાંકરેજ અને થરાદ સહિત 5 તાલુકાઓના 100 ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોએ સણાદર ખાતેથી પગપાળા તેમજ ટ્રેક્ટર રેલી કાઢી હતી. સિંચાઇના પાણીની વિકટ સમસ્યા ઉભી થતાં ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી નારાઓથી કચેરીને ગુંજવીને આવેદનપત્ર આપી પ્રદર્શન કર્યું હતું.

મીડિયા અહેવાલ મુજબ ખેડૂતોએ ગામડે-ગામડે જઈને બેઠકો કરીને “જળ નહી તો વોટ નહી”ના પોસ્ટરો મારીને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. ખેડૂતોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પાણી વગર તેમની હાલત કફોડી બની છે. જેથી તેઓ ખેતરો છોડીને રસ્તા ઉપર ઉતરીને ધરણાં ઉપર બેઠા છે અને જ્યાર સુધી તેમને પાણી નહીં, અપાય ત્યાર સુધી તેવો ધરણાં ઉપર બેસી રહશે અને પોતાના ગામોમાં કોઈ જ રાજકીય નેતાઓને ઘુસવા નહી દે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે.તંત્ર દ્વારા પાણી ન છોડતા આજે દિયોદરના સણાદર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. ત્યાં બેઠક કર્યા બાદ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પગપાળા અને ટ્રેક્ટર રેલી નીકાળી દિયોદર પ્રાંત કચેરીએ પહોંચીને પાણી આપવાના નારા સાથે પ્રાંત કચેરી ગુંજવી હતી. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી. જો કે ત્યાર બાદ ખેડૂતો પ્રાંત કચેરીમાં જ ધરણાં ઉપર બેસી ગયા છે.