બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા.૦૭/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૩/૨૦૨૨ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને કાળજી રાખવાનું જણાવામાં આવ્યુ છે. ખેતી પાકોના રક્ષણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસકાંઠા- પાલનપુર, શ્રી પી. કે. પટેલે વિવિધ પગલા લેવાં જણાવ્યું છે.

જિલ્લામાં હાલમાં ઘઉં, રાજગરો, રાયડો, ચણા, જીરૂ, વરીયાળી તેમજ દિવેલાનો પાક તૈયાર થયેલ હોય તો હાલ પુરતુ કાપણી ટાળવી. જો કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવી. ખેડૂતોએ પોતાના ઉત્પાદિત થયેલ ખેત પેદાશને સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા અને તાડપત્રી હાથવગી રાખી પોતાની ખેત પેદાશને વેચાણ અર્થે એપીએમસીમાં લઇ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી. જિલ્લામાં બે દિવસ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારી મિત્રોને પણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયુ છે