બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોત થયા છે. બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને UGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે વીજ કરંટથી મોત થતાં પશુપાલકને અંદાજે 11 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
દૂધ દોહવાનું મશીન ચાલુ કરતા જ ટપોટપ ગાયો મૃત્યુ પામી
પશુપાલક રામસુંગ પટેલે જણાવ્યું છેકે, મારે ગાયોનો તબેલો છે. મશીનથી ગાયો દોવાતી હતી. આજે સવારે ગાયો દોહવા માટે મશીન લગાવ્યું અને ટપોટપ 11 ગાયો મૃત્યુ પામી છે, જ્યારે ત્રણ ગાયો બચી ગઇ છે. કરન્ટ લાગવાથી ગાયો મૃત્યુ પામી હતી. એક ગાયની કિંમત 1 લાખ 25 હજારની આસપાસની છે. બનાવ અંગે બનાસ ડેરી, સરકારી ડોક્ટર, UGVCL અને જે કંપનીના મશીન હતા તેને અને પોલીસને જાણ કરી છે. દૂધ દોહવાનું મશીન બનાવતી કંપનીના એક ડીલર આવ્યા હતા અને તેમણે મશીન ચેક કર્યું હતું જેમાં બોડી શોટ મશીન બતાવ્યું હતું. આ બનાવ અંગે કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પશુપાલકે માગ કરી છે.
કરન્ટ લાગવાથી કારણે મોત તારણ
અધિકારી આર.એન. મુઢે જણાવ્યું છેકે, દાંતીવાડા નાયબ ઇજનેરે 11 ગાયોના મૃત્યુ અંગે જાણકારી આપી હતી. જેથી હું સ્થળ તપાસે આવ્યો છું. પ્રથમ દૃષ્ટિએ આ ગાયના મૃત્યુ દૂધ દોહવાના મશીનથી થયેલા શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું જણાય આવે છે.