અંબાજીના મંદિરને નડી મોંઘવારી ‘મોહનથાળ’ પ્રસાદ માં ભાવ વધારો કરાયો

મંદિરને નડી મોંઘવારી અંબાજીના 'મોહનથાળ' પ્રસાદમાં ભાવ વધારો કરાયો.. ઘી- ચણાદાળના ભાવ વધતા નિર્ણય લેવાયો.. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજીમાં પ્રસાદમાં અપાતા મોહનથાળના ભાવમાં મંગળવારથી વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઘી અને ચણા દાળના ભાવ વધતા પ્રસાદની કિંમતમાં આ પ્રથમવાર ભાવ વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહા મેળો આવી રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં મા અંબાના દર્શને માઇભક્તો પદયાત્રા થકી આવે છે. તે સિવાય વર્ષેદાડે પણ હજારો ભાવિકો માના દર્શને આવે છે. તેઓ મંદિરમાં મળતા મોહનથાળ ના પ્રસાદને ઘરે પણ લઈ જતા હોય છે. મા અંબાના મોહનથાળ ના પ્રસાદનો પણ અનેરો મહિમા છે. તેનો સ્વાદ ભાવિકો પસંદ કરે છે. ત્યારે મંદિરમાં નાના, મીડિયમ અને મોટા પ્રસાદના પેકેટ અનુક્રમે રૂપિયા 15, 25 અને 50 માં મળતા હતા. જેમાં હવે વધારો કરીને રૂપિયા 18, 28 અને 52 કરવામાં આવ્યા છે. આ પ્રસાદના પેકેટ હવે નવા ભાવથી ભાવિકોને મળશે. નવા ભાવનું પત્રક પણ પ્રસાદના કાઉન્ટર ઉપર લગાવવા માં આવ્યું છે. જોકે મંદિરના સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર ઘી અને ચણાની દાળના ભાવમાં વધારો થયા બાદ પ્રથમવાર જ પ્રસાદમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *