રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન વલ્લભ કથીરિયાએ દાવો કર્યો હતો કે ચિપ મોબાઇલના રેડિયેશન અને બીમારીથી બચાવે છે
રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA)ના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ મંગળવારે એક ચિપ લોંચ કરી હતી. આ ચિપ ગાયના છાણ (ગોબર)માંથી તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ ચિપ મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને અટકાવે છે તેમજ બીમારીઓથી બચાવે છે, પરંતુ આ સંશોધનને લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વિરોધ કરી જણાવ્યું છે કે કથીરિયાએ કરેલો દાવો એકદમ ખોટો છે. આ અંગે વૈજ્ઞાનિકોએ કથીરિયાને કરેલા ઇ-મેલના પણ કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. તે લોકોમાં ભ્રામકતા ફેલાવે છે. ગાય માતા પૂજનીય છે, પરંતુ તેના નામે ખોટી વાતો ફેલાવે એ યોગ્ય નથી. રાષ્ટ્રીય કામધેનુ આયોગ જાહેરમાં આવી રિસર્ચ બતાવે અને અમારી પેનલ સાથે ચર્ચા કરે. આ પ્રકારની સરકારી સંસ્થા અંધશ્રદ્ધા ફેલાવે છે. આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હવે ગાય માતામાંથી ઉત્પન્ન થતી અન્ય પ્રોડક્ટને પણ નુકસાન થવાનું : જયંત પંડ્યા
જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના 100 વૈજ્ઞાનિકોએ કામધેનું આયોગના ચેરમેનના દાવાને પડકાર્યો છે. કોઈપણ વસ્તુનું સંશોધન કર્યું હોય તો એની શોધ કોણ કરી, પેટર્ન કેમ નથી કાઢી સહિતના અનેક પ્રશ્નો છે. કામધેનુ આયોગ છે એ પ્રજાના પૈસે ચાલે છે, આથી પ્રજાને પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે. વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ કેળવવામાં આ ઘટના થઈ છે, આથી વિજ્ઞાન જાથાએ સરકારને, રાષ્ટ્રપતિ અને વડી અદાલતને આજે જાણ કરી જ છે. 100 વૈજ્ઞાનિકોએ વિરોધ નોંધાવી જણાવ્યું છે કે તમે જાહેરાત કરતાં પહેલાં તેનું પૃથક્કરણ અને તારણ પ્રજા સમક્ષ મૂકો. આવા ભ્રામક દાવાને કારણે હવે ગાય માતામાંથી ઉત્પન્ન થતી અન્ય પ્રોડક્ટને પણ નુકસાન થવાનું છે.
ગોબરના ટુકડાને મોબાઈલમાં મૂકી દ્યો તો એક્ટિવ કંઈ રીતે કરી શકાય એ જણાવો
જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે સંશોધન કર્યું ત્યારે ગાયનું ગોબર લીલું હતું કે સૂકું હતું, પૃથક્કરણ કોણે કાઢ્યા સહિતના સવાલો છે. ગોબરનો ટુકડો છે એને તમે મોબાઈલમાં મૂકી દ્યો પણ તેને એક્ટિવ કંઇ રીતે કરી શકાય, એને એક્ટિવ તો કરી શકાતું નથી, કારણ કે એમાં ઇલેક્ટ્રિક પાવરનો તો ઉપયોગ થયો નથી. રેડિયેશન ઘટે છે એ સાબિત કરી બતાવે. આ અંગે પર્ફેક્ટ માહિતી વેબસાઈટમાં પણ મૂકવામાં આવી નથી. કોઈપણ શોધ હોય એ સાચી નીકળે તો તેનું ગૌરવ પણ લેવું જોઈએ.
ગાયના ગોબરમાંથી બનેલી ચિપ એક રેડિયેશન ચિપ છે
જેનો મોબાઈલ ફોનમાં ઉપયોગ કરી શકાય છે, જેથી રેડિયેશન ઓછું કરી શકાય છે. આ ચિપનું નામ ગૌસત્વ કવચ છે. એને રાજકોટસ્થિત શ્રીજી ગૌશાળા દ્વારા તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2019માં રચવામાં આવેલા કામધેનુ આયોગનો ઉદ્દેશ ગાયો તથા તેનાં વાછરડાં-વાછરડીનું રક્ષણ તથા વિકાસ કરવાનો છે.