વાવ–થરાદ : સરહદી વિસ્તારમાં નાગરિકોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ થઈ ગઈ છે. સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે.
થરાદ ખાતે યોજાયેલા વિધિવત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લા કલેકટર કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. આ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી સહિતની શાખાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.

નવા તાલુકાઓનું સર્જન
નવા જિલ્લામાં ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ એમ ચાર તાલુકાઓનું પણ અસ્તિત્વમાં આવ્યુ છે.
આ રીતે વાવ–થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવા ઢીમા તથા રાહ તાલુકા મળી કુલ ૮ તાલુકાનો સમાવેશ થયો છે.

વસ્તી અને વિસ્તાર
નવા જિલ્લામાં :
- ૮ તાલુકા
- ૨ નગરપાલિકા
- ૪૧૬ ગામડા
- ૯ લાખ ૭૮ હજાર ૮૪૦ જેટલી વસ્તી નો સમાવેશ થાય છે.
જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં હવે પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ તેમજ નવા ઓગડ અને હડાદ તાલુકા મળી કુલ ૧૦ તાલુકાનો સમાવેશ થાય છે.
ઉજવણીનો માહોલ
થરાદ ખાતે થયેલા વિધિવત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત જિલ્લાના શુભારંભ પ્રસંગે સરહદી વિસ્તારોના લોકોમાં ઉમંગ અને આનંદનો માહોલ જોવા મળ્યો.
જિલ્લા અધિકારીઓની નિમણૂક
સરકારશ્રીએ વાવ–થરાદ જિલ્લા માટે નીચે મુજબની નિમણૂકો કરી છે :
- જિલ્લા કલેકટર : શ્રી જે.એસ. પ્રજાપતિ
- જિલ્લા વિકાસ અધિકારી : શ્રી કાર્તિક જીવાણી
- જિલ્લા પોલીસ અધિક્ષક : શ્રી ચિંતન.જે. તેરૈયા