વાવ થરાદ | ધ્રુપલ કલાલ (જયસ્વાલ)
વાવ–થરાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.)એ વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એ.સી.બી.એ સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ કોર્ટ કમિશ્નરને ગેરકાયદેસર લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે. આ ઘટનાથી ન્યાયિક પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટ અને કડક સંદેશો મળ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી શક્તિદાન જુજારદાન ગઢવી (આસિસ્ટન્ટ કોર્ટ કમિશ્નર, વર્ગ-૩), પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, સુઇગામ (રહે. માડકા, તા. વાવ, જી. વાવ–થરાદ) સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી વિરુદ્ધના દાવાના સંદર્ભમાં સિવિલ કોર્ટ દ્વારા સ્થળ પંચનામું કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી કરવા માટે આરોપી દ્વારા સરકારી ફી ઉપરાંત વધારાના રૂા. 3,000/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદની ચકાસણી બાદ એ.સી.બી. દ્વારા સુવ્યવસ્થિત રીતે ટ્રેપ ગોઠવવામાં આવી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ની હાજરીમાં રૂા. 3,000/-ની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે એ.સી.બી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ટ્રેપ કાર્યવાહી 18 જાન્યુઆરી, 2026ના રોજ ભાભર તાલુકાના વાવ સર્કલ ખાતે આવેલા ક્રિષ્ના પાર્લર, શાંતિ કનક પ્રવેશદ્વારની સામે કરવામાં આવી હતી. એ.સી.બી. દ્વારા લાંચની માંગણી, સ્વીકાર અને રિકવર કરેલી રકમ ત્રણેય રૂા. 3,000/- હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે એ.સી.બી. દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપ કાર્યવાહીથી વાવ–થરાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે લડતમાં એ.સી.બી.ની સક્રિય અને કડક કામગીરી ફરી એકવાર સામે આવી છે.