પોતાના વતન માણસા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાનપણની આ વાત કહી

ગુજરાતમાં બે દિવસ માટે આવેલા ગૃહમંત્રી અમિત શાહે વતન માણસાની મુલાકાત લીધી હતી આ દરમિયાન ભેટ પણ ગૃહમંત્રી આપી હતી. વતનમાં આવીને પ્રસન્નતા વ્યક્ત કરતાં અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ૯૦૦ વર્ષથી હું આ ગામનો વતની છું. હું છ મહિનાનો હતો ત્યારે અહીં આવ્યો હતો અને અહીંની માટીમાં જ રમીને મોટો થયો છું. જે લાયબ્રેરીમાં નાનપણમાં હું ભારતનો ઇતિહાસ ભણ્યો છું, પંચતંત્રની વાર્તાઓ વાંચી છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શીખ્યો છું અને વિદુરનીતિ વાંચવાનો મોકો મળ્યો છે એ લાયબ્રેરીનું ત્રણ માળનું બિલ્ડીંગ આજે ખુલ્લું મુકતા મને આનંદ અને સંતોષની લાગણી થઈ છે. આ તબક્કે તેમણે મહારાષ્ટ્રીયન ડૉ. મોહીલેને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, ડૉ. મોહીલેના પ્રયત્નો અને ચંદુભાઈ મફાભાઈ શાહની સખાવતથી આ લાયબ્રેરી શરૂ થઈ હતી. મારા દાદાજી આ લાયબ્રેરી ઘરે ચલાવતા હતા, ત્યારબાદ એ બજારમાં સ્થાપિત થઈ હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અને માણસાના વતની અમિતભાઈ શાહે આજે માણસાને અનેક વિકાસકામોની ભેટ આપી હતી. મલાવ તળાવ પરિસરમાં માણસા-મકાખાડ રોડ પર માણસા નગરપાલિકા નિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અમિતભાઈ શાહે લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે તેમણે મુખ્ય બજારમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું પણ લોકાર્પણ કર્યું હતું. અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે, માણસા શિક્ષણ અને વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, આપણે એને જાળવી રાખવાનો છે. માણસાના સર્વાંગી વિકાસ માટે યુવાનોને આગળ આવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, માણસા નગરપાલિકાના અધ્યક્ષા મતી કૈલાશબેન પટેલ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. તેમજ માણસામાં સૌપ્રથમ નિર્માણ પામેલ ઇ- પુસ્તકાલય વિશેની વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી. તેમણે માણસા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઇ આગામી સમય દરમિયાન થનાર વિવિધ કામોની પણ બારીકાઈથી માહિતી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *